મિત્રો, આમ તો કળિયુગમાં ચમત્કારમાં ઘણા ઓછા લોકો માને છે, પણ ભારતમાં એવા ઘણા સ્થળો, મંદિરો છે જ્યાં આજે પણ ચમત્કારો થાય છે. અને વિજ્ઞાન પણ તે ચમત્કારો સામે હાર માની લે છે. અમે ચમત્કારની વાત એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે હાલમાં જ ગુજરાતમાં આવેલા કચ્છના અંજારમાંથી એક ચત્મકારીક ઘટના સામે આવી છે.
જણાવી દઈએ કે, આ ઘટનાએ લોકોમાં ભારે કુતુહલ જન્માવ્યું છે. અંજાર તાલુકાના ખેડોઈ ગામના પટેલવાસમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો છે. આમ તો આ મંદિર વર્ષ 1945 માં બનાવવામાં આવ્યું હતું. પણ કચ્છમાં આવેલા ભૂકંપને કારણે આ મંદિર ક્ષતિગ્રસ્ત થયું હતું, આથી હાલ તેના જીર્ણોદ્ધારનું કામકાજ ચાલી રહ્યું હતું.
એવામાં મંદિરનો જીર્ણોદ્ધાર કરતા સમયે આ મંદિરનું શિખર બદલવાની કામગીરી કરવાની હતી. તારીખ 8 સપ્ટેમ્બરના રોજ આ મંદિરમાં એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન કર્યા પછી મંદિરના શિખરની ટોચ પરથી કળશ ઉતારવામાં આવ્યો હતો. અને જ્યારે તે કળશ નીચે ઉતારવામાં આવ્યો તો તેની અંદર રહેલી વસ્તુ જોઈને ત્યાં હાજર લોકો ચકિત રહી ગયા.
મળતી જાણકારી અનુસાર, જ્યારે તે કળશ ઉતારવામાં આવ્યો ત્યારે 75 વર્ષ પહેલા તેની અંદર રાખવામાં આવેલો શિરો વર્ષો પછી તે દિવસે તાજો જ નીકળ્યો હતો. તેની અંદર નાખવામાં આવેલા શુદ્ધ ઘી ની સુગંધ પણ એવીને એવી જ આવતી હતી જેવી તાજા ઘી ની હોય છે. આ ઘટના જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા આવા ચમત્કાર તો પ્રભુ જ કરી શકે છે.
75 વર્ષ પછી પણ તે શિરો જાણે એક દિવસ પહેલા જ બનાવ્યો હોય તેમ લાગી રહ્યું હતું. સાથે સાથે આ કળશ ઉતારતા સમયે જે કુંભ મળ્યો તેમાંથી એક તાંબાનો સિક્કો પણ મળ્યો હતો. તે સિક્કા પર માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં એવું લખ્યું હતું.
ભક્તોએ તે શીરાના પ્રસાદને ફરીથી મંદિરમાં ધરાવ્યો હતો. આજે જ્યારે કળિયુગમાં લોકો ચમત્કારને માનતા નથી એવામાં આવી ઘટના લોકોની શ્રદ્ધામાં વધારો કરે છે. અંજાર તાલુકાના ખેડોઈ ગામે થયેલો આ ચમત્કાર જોઈને લોકોએ દંગ રહી ગયા હતા. આ મંદિરના શિખરમાંથી નિકળેલી વસ્તુઓને નિહાળીને ભક્તોએ ખુબ ધન્યતા અનુભવી.